Tuesday, January 12, 2010

જૂઠના આ દ્રશ્ય ચાલે ક્યાં સુધી?, સાચનો પડદો પડે ના ત્યાં સુધી.

જૂઠના આ દ્રશ્ય ચાલે ક્યાં સુધી?
સાચનો પડદો પડે ના ત્યાં સુધી?

ભારતના શ્રેષ્ઠ ઓર્થોપેડીક સર્જન ડો.ધોળકિયા જયારે હયાત હતા ત્યારની વાત છે. ગુજરાતમાંથી એક પેશન્ટ હાડકાંના જટિલ ફ્રેક્ચરની સારવાર માટે મુંબઇ ગયા. ડો.ધોળકિયાએ એક્સ-રે જોઇને એક જ સવાલ પૂછ્યો, ‘કહાં સે આતે હો?’ દર્દીએ જવાબ આપ્યો, ‘ગુજરાતસે.’


ડો.ધોળકિયા તરત જ ગુજરાતીમાં આવી ગયા, ‘તો પછી મારી પાસે દોડી આવવાની શી જરૂર હતી? ત્યાં ડો.સી.એમ.શાહ છે ને? આવો કેસ ભારતમાં મારા સિવાય માત્ર એક જ ડોક્ટર ટ્રીટ કરી શકે છે, એ છે ડો.સી.એમ.શાહ.’


ડો.સી.એમ.શાહ અસ્થિતંત્રમાં જાદુગર કહી શકાય. સાચા અર્થમાં જિનિયસ. ખોપરીમાં બુદ્ધિ ઠાંસી-ઠાંસીને ભરેલી. સૌરાષ્ટ્રના ગામડે-ગામડે આ ઉક્તિ સાંભળવા મળે : ‘અકસ્માત થયો છે? હાડકાં ભાંગ્યા છે? તો સી.એમ.શાહ પાસે જાઓ. હાડકાંના ભલેને ગમે તેટલા કટકા થયા હોય, અરે, ચૂરો થયેલો હશે તોય શાહ સાહેબ એમાંથી ફરી પાછું હાડકું બનાવી આપશે!’


બસ, ડો.શાહનો એક માત્ર સદગુણ એટલે એમની તબીબી કુશળતા. સદગુણોની સરહદ અહીં સમાપ્ત થાય છે અને અવગુણોની યાદી શરૂ થાય છે. આ યાદી એટલી લાંબી છે કે એને સમાવવા માટે પૃથ્વી તો શું, આસમાન પણ નાનું પડે!


ડો.શાહને ઓળખનારા તમામ માણસો એ વાત જાણે છે કે એમના માટે પૈસો એ જ એકમાત્ર પરમેશ્વર છે. એમના અંગત શિથિલ ચારિત્ર્યની વાત જવા દઇએ તો પણ આ ડોક્ટરે એના દર્દીઓને લૂંટવામાં કશુંય બાકી નથી રાખ્યું. એમની કન્સિલ્ટંગ ફી જ એક હજાર રૂપિયા છે.


ડોક્ટર ગમે તેટલો હોશિયાર હોય તો પણ દર્દીને તપાસવાના હજાર રૂપિયાના બદલામાં એ કેટલું વળતર આપી શકે તે માત્ર ઇન્કમટેકસ ડિપાર્ટમેન્ટનો નહીં પણ નૈતિકતાનો પ્રશ્ન છે.
એક વાર બહારગામના દર્દીએ એના સગાને ફોન કર્યો, ‘મારે ડો.શાહ સાહેબને મારો ખભો બતાવવો છે.


એપોઇન્ટમેન્ટ લઇ રાખશો?’ દર્દીના સગાએ શહેરમાં રહેતા હતા. તેઓ એપોઇન્ટમેન્ટ લેવા ગયા. રિસેપ્શનિસ્ટે ચોપડો તપાસીને સમય આપ્યો, ‘અઢાર દિવસ પછીના ગુરુવારે બપોરે ચાર વાગ્યે. કન્સલ્ટિંગ ફીનાં એક હજાર રૂપિયા ભરી દેવા પડશે.’


ગરજવાનને બીજો વિકલ્પ નથી હોતો. હજાર રૂપિયા ભરી દીધા. નિર્ધારિત દિવસે દર્દી આવી તો ગયા પણ એક કલાક મોડા પડ્યા. રિસેપ્શનિસ્ટે કહી દીધું, ‘તમારા પૈસા ડૂબી ગયા. બીજી એપોઇન્ટમેન્ટ તમને બાવીસ દિવસ પછીની મળી શકશે. એના માટે પણ તમારે બીજા હજાર રૂપિયા ચૂકવવાના થશે.’


દર્દીઓની હકડેઠઠ્ઠ ભીડ. સવારે સાત વાગ્યાથી શરૂ થતી ઓ.પી.ડી. મોડી રાત સુધી ચાલ્યા કરે. એમાં રોજના ચાર-પાંચ દર્દીઓ તો લીધેલો સમય જ ચૂકી જ જાય. એટલે રોજના પાંચ હજાર રૂપિયા તો એમને એમ ડોક્ટરના ગલ્લાંમાં જમા થઇ જાય. મહિને દોઢ લાખ રૂપિયા તો દર્દીઓને નહીં તપાસવાના મળે!


અને દર્દીઓ કેવા? ગરીબ, મહેનતકશ, રોજની મહેનતનું રોજ ખાનારા, ખેડૂતો, મજૂરો, લારીવાળા, રિક્ષાવાળા, શિક્ષકો, પટાવાળા, હવાલદારો..! હાથ-પગ ભાંગે એટલે આવવું પડે. શરીર અટકી પડે તો કમાવું ક્યાંથી? એમ તો ડો.શાહનું નર્સિંગ હોમ ધનવાન દર્દીઓથી પણ ઊભરાતું રહે, પણ એ બધાંને તો નાણાંની રેલમછેલ હોય.


એમની સરખામણી ગરીબ દર્દીઓ સાથે શી રીતે કરી શકાય? દેશનાં મોટા ભાગનાં ડોક્ટરો (બધાં નહીં) એમના ગરીબ અને ધનવાન દર્દીઓ વચ્ચે પૈસાની બાબતમાં જુદા જુદા માપદંડો રાખતા હોય છે.


પણ ડો.શાહ પાસે તમામ વર્ગોને મૂંડવા માટે એક જ અસ્ત્રો હતો. એમણે પોતાનાં અંગત શબ્દકોશમાંથી માનવતા, દયા, કરુણા, લાગણી, સહૃદયતા અને સેવાભાવ જેવા શબ્દો છેકી નાખ્યા હતા.


શહેરના સમજુ નાગરિકો ઘણીવાર ડો.શાહની કમાણી વિશે ચર્ચા કરતાં. ‘કેટલું કમાયા હશે શાહ સાહેબ? એક-બે કલાક? કે વધારે?’ જવાબમાં કોઇ જાણભેદુ માહિતી આપતો, ‘કરોડોની નહીં, સાહેબ, અબજોમાં વાત કરો!


એમની પાસે આવતા દરેક દર્દીનું ન્યૂનતમ બિલ એક લાખ રૂપિયાનું બને છે. એમની પાસે સેન્ટ્રલી એરકન્ડિશન્ડ નર્સિંગ હોમ, વિશાળ બંગલાઓ, એકરોની એકરો જેટલી જમીન, હીરાનું ઝવેરાત અને ગ્રામ કે તોલામાં નહીં પણ કિલોગ્રામમાં આપી શકાય એટલું સોનું છે.’


‘સમાજે એમને આટલું બધું આપ્યું, એના બદલામાં ડો.શાહે સમાજને શું આપ્યું?’ પૂછનારે પૂછ્યું.


‘કશું જ નહીં. આટલી ધીકતી પ્રેકિટસ પછી પણ આ માણસે એક પણ પૈસો સામાજિક સેવાનાં કામમાં ખર્ચ્યો નથી. ક્યારેય કોઇ પણ મેડિકલ કેમ્પમાં એણે સેવા આપી નથી. કોઇ જાહેર ફંકશનમાં એણે હાજરી આપી નથી. શહેરનાં એક પણ પરિવાર સાથે એને ઊઠવા-બેસવાનો વહેવાર નથી.’ માહિતી આપનારે જવાબ આપ્યો.


માહિતી તદ્દન સાચી હતી. ડો.શાહનો સર્વ પ્રથમ સગો પૈસો હતો અને આખરી સગો પણ પૈસો હતો. એવું લાગતું હતું કે જાણે ઈશ્વરે જ એને એવો આદેશ આપીને પૃથ્વી ઉપર ફેંક્યો હોય કે ‘જા, બેટા! દીઘાર્યુષી બનજે અને જિંદગીની એક-એક ક્ષણનો ઉપયોગ ધન કમાવા માટે કરજે!


હું તને અલભ્ય ગણાય તેવી બુદ્ધિમતા આપું છું, તેનો ઉપયોગ તું ગરીબ, અભણ અને મજબૂર દર્દીઓને લૂંટવા માટે કરજે.’ કોઇના મનમાં પ્રશ્ન ઊઠશે કે ખરેખર જગતમાં કોઇ આવી વ્યક્તિ હોઇ શકે?! હા, હોઇ શકે નહીં, પણ છે! ડો.શાહને જાણનારા હજારો દર્દીઓ અને લાખો ત્રાહિત માણસો એકી અવાજે આ વિધાનમાં સંમત છે. એમના જ શહેરમાં પ્રેકિટસ કરી સેંકડો તબીબો પણ આવો જ મત ધરાવે છે. ત્યાંના ખ્યાતનામ અને વરિષ્ઠ તબીબનો અનુભવ તો ચોંકાવી મૂકે તેવો છે. એમણે એક વાર ફોન કર્યો. ડો.સી.એમ.શાહની રિસેપ્શનિસ્ટે ઉપાડયો, ‘શું કામ છે?’


‘તમારા સાહેબ સાથે વાત કરવી છે.’


‘સાહેબ ફોન ઉપર કોઇની સાથે વાત નથી કરતા.’ ‘પણ હું કોઇ નથી, હું પણ કન્સલ્ટન્ટ ડોક્ટર છું. મારું નામ...’


‘ઠીક છે! તમારે શાના વિશે વાત કરવી છે?’ ‘અરે, બહેન, મારે તો માત્ર તારા સાહેબને ‘વિશ’ કરવું છે. આજે એમનો બર્થ ડે છે ને! એટલા માટે ફોન કર્યો છે.’


ડોક્ટરનો ઉદ્દેશ જાણ્યા પછી રિસેપ્શનિસ્ટ પાસે હવે કોઇ દલીલ બચી ન હતી. એણે ડો.શાહને માહિતી આપી. ડો.શાહે છાશિયું કર્યું, ‘એને કહી દે કે મને ડિસ્ટર્બ ન કરે! હું છ દાયકા પહેલાં આજની તારીખે જન્મેલો એ એક બાયોલોજિકલ ઘટના હતી, આજે આટલા વર્ષો પછી એનું શું છે?


ફોન કાપી નાખ! મારા બેટા ડોક્ટરો પણ હાલી નીકળ્યા છે!!’ આ વાત પૂરા શહેરમાં ફેલાઇ ગઇ. તમામ ડોક્ટરોએ એ જ દિવસે ડો.સી.એમ.શાહના નામનું નાહી નાખ્યું.


માણસ ગમે તેટલો મેધાવી ભલેને હોય, પણ સમાજથી આટલો અલિપ્ત અને રુક્ષ બનીને કેવી રીતે જીવી શકે?!
………


ઉપરના સવાલનો જવાબ આપવા માટે જ જાણે એક ઘટના બની! ગામડાં ગામનો ગરીબ યુવાન. વાહનની ઠોકરમાં એનો પગ ભાંગ્યો. એક હજાર રૂપિયા ભરીને ડો.શાહ પાસે નિદાન કરાવ્યું. સાહેબે કહ્યું, ‘તારા ગોઠણની ઢાંકણીનું ફ્રેક્ચર છે. ઓપરેશન કરાવવું પડશે. સાડા ત્રણ લાખ લઇશ.’


બાપડા ખેતમજૂર માટે ચાલતાં થવું જરૂરી હતું. અડધું ખેતર વેચી નાખ્યું. ઓપરેશન કરાવી લીધું. પણ સારું ન થયું. ડોક્ટરે દિલાસો બંધાવ્યો, ‘થોડાં દિવસો જવા દો, પછી ચાલી શકાશે.’ થોડાંકને બદલે ઝાઝા દિવસો પસાર થઇ ગયા, પણ દર્દી પગભર ન થયો.


મહિનો, બે મહિના, ત્રણ મહિના ઊડી ગયા. ડો.શાહને પણ ખ્યાલ આવી ગયો કે ઓપરેશન સફળ નથી થયું. હવે તો એમની પાસે જવાબો પણ ખૂટયા હતા, એટલે એમણે એપોઇન્ટમેન્ટ આપવાનું જ બંધ કરી દીધું.દર્દીની ખોપરી હટી ગઇ.


ફોન ઉપર બનાવટી નામ આપીને એણે મુલાકાતનો સમય મેળવી લીધો. પછી એના એક હટ્ટા-કટ્ટા સગાને સાથે લઇને પહોંચી ગયો ડોક્ટરના કન્સિલ્ટંગ રૂમમાં. ચાલવા માટે ટેકા તરીકે બે હોકીની લાકડીઓ પણ લીધેલી હતી. બારણું અંદરથી બંધ કરીને એમણે ચૌદમું રતન ચખાડવાનું શરૂ કર્યું.


ડો.શાહને લોહીલુહાણ કરી નાખ્યા. જો રિસેપ્શનિસ્ટે પોલીસને ન બોલાવી લીધી હોત તો ડો.શાહ અવશ્ય નર્કસ્થ બની ચૂક્યા હોત! પોલીસે બંને ગુનેગારોની ધરપકડ કરી. પેલાઓએ ભાગવાની કોશિશ પણ ન કરી. એમણે તો ડો.શાહની અસલિયત જગજાહેર કરવી હતી તે કરી દીધી.


ખુદ પોલીસ સ્ટેશનમાં હવાલદારે પણ પેલા દર્દીની પીઠ થાબડી, ‘ભાઇ, બહુ સુંદર કામ કર્યું. જે અમારે કરવા જેવું હતું તે કામ તમે કરી દીધું.’ શહેરની કુલ પાંચ-છ લાખની વસતીમાંથી એક પણ માણસ એવો નથી જે આ ઘટનાથી રાજી ન થયો હોય. ડોક્ટરો પણ ડો.શાહની સાથે નથી.


કોઇકે તો વળી નવતર જાતની હેલ્પલાઇન શરૂ કરી છે : ‘શહેરની જનતાને અમારી વિનંતી છે, શું તમે પણ ડો.સી.એમ.શાહની ઉઘાડી લૂંટનો ભોગ બનેલા છો? તો અમારો સંપર્ક કરો. અમે તમને ન્યાય અપાવીશું.’ડો.શાહ અત્યારે ભાંગી-તૂટી હાલતમાં અબજો રૂપિયાના ડુંગર પર બેસીને જિંદગીનું સરવૈયું તપાસી રહ્યા છે.


(સત્ય ઘટના. નામફેર સાથે)
શીર્ષક પંક્તિ: જયંત પાઠક

No comments: