Friday, January 15, 2010

શ્રદ્ધાને શરણે

ડૉ. રે બંગાળી હતા. આમ સજ્જન પણ સ્વભાવે ઉગ્ર હતા. સમયપાલનના જબરજસ્ત આગ્રહી. મેડિકલ કૉલેજમાં પ્રોફેસર હતા. સવારે આઠ વાગ્યે એમનું લેકચર શરૂ થયું. બરાબર ત્રીસ સેકન્ડ પછી મેં પ્રવેશ કર્યો.
‘મેં આઈ કમ ઈન સર ?’
‘નો, યુ કાન્ટ !’ ડૉ. રેની નજર એમની કાંડા ઘડિયાળ પર પડી : ‘યુ. આર. લેઈટ બાય હાફ એ મિનિટ. ગેટ આઉટ !’
‘બટ, સર….! આઈ હેવ ગોટ એ વેલીડ રીઝન ટુ બી લેઈટ.’ મેં દલીલ કરી : ‘કૉલેજના કમ્પાઉન્ડમાં એક વૃદ્ધ સ્ત્રી ગબડી પડી. એનો પગ ભાંગી ગયો. આમ તો હું લેકચર માટે ખાસ્સો વહેલો હતો. પણ એને આપણી જ ગવર્નમેન્ટ હૉસ્પિટલના કેઝ્યુઅલ્ટી વિભાગ સુધી ‘શિફટ’ કરાવવામાં મોડું થઈ ગયું.’
‘યસ. ધૅટ ઈઝ એન આર્ગ્યુમેન્ટ. પણ તમે અહીં દર્દીને સારવાર આપવાનું ભણવા માટે આવો છો, એમને ઊંચકીને હૉસ્પિટલમાં પહોંચાડવાનું કામ વોર્ડબોયનું છે, ડૉક્ટરનું નહીં. આઈ કાન્ટ જસ્ટિફાય યોર એકશન. નાઉ, ગેટ લોસ્ટ…..’

હું જાણતો હતો કે ડૉ. રે ‘ગેટ આઉટ’ કહે અને ‘ગેટ લોસ્ટ’ કહે એ બે વચ્ચે મોટું અંતર હતું. પહેલામાં સૂચન હતું, બીજામાં આદેશ હતો. સૂચન સામે દલીલ થઈ શકે, હુકમ સામે નહીં. પણ મેં દલીલ કરવાની ગુસ્તાખી કરી, કારણ કે હું પ્રમાણિકપણે માનતો હતો કે મેં કંઈ ખોટું નથી કર્યું. હું મેડિકલ કૉલેજમાં ભણવા માટે આવતો હતો, મોંઘીદાટ ફી ભરીને આવતો હતો, એક ધરાશાયી થયેલી ગરીબ ડોશીને મદદ કરીને મેં ઈન્ડિયન પીનલ કોડની એક પણ કલમનો ભંગ નહોતો કર્યો અને આટલું બધું કરવા છતાં પણ હું માત્ર અડધી મિનિટ જ મોડો હતો ! એ વખતે મારાથી સહેજ ઊંચા અવાજે કહેવાઈ ગયું :
‘યસ, સર ! આઈ એમ ગેટિંગ લોસ્ટ; બટ વીલ યુ પ્લીઝ ટેલ મી વન થીંગ ? આ ડોશીની જગ્યાએ તમારા મધર હોત અને એમને મદદ કરનારું ત્યાં કોઈ ન હોત, સિવાય કે હું, તો પણ તમે મને આ જ રીતે પાછો કાઢ્યો હોત, જે રીતે અત્યારે કાઢી રહ્યા છો ?’
ડૉ.રે બરાડ્યા : ‘સ્ટૉપ ઈટ ! વન મોર વર્ડ એન્ડ યુ વીલ બી સસ્પેન્ડેડ ફોર ધી હોલ વીક…..’ એ હજી પણ કંઈક બોલવા જતા હતાં, પણ મેં તક ન આપી. હું ત્યાંથી પાછો વળી ગયો. એ આખો દિવસ મારો જીવ ચચરતો રહ્યો. કેન્ટિનમાં પણ કંઈ મન ન લાગ્યું. સાચું કહું તો હું કંઈ સંત નથી. પવિત્ર હોવાનો દાવો પણ કરતો નથી, પણ એ ક્ષણે હું સો ટકા સાચો હતો અને છતાં નિ:સહાય, નિરૂપાય હતો.

અને એ દિવસ બપોરે સાડા ત્રણ વાગ્યે હું જમીને હૉસ્ટેલમાં મારી રૂમમાં આરામ ફરમાવી રહ્યો હતો, ત્યાં બારણે ટકોરા પડ્યા.
‘યસ પાર્ટનર ! કમ ઈન……!’ મેં પથારીમાં પડ્યા પડ્યા જ બૂમ મારી. ‘પાર્ટનર’ એ અમારી મેડિકલ હૉસ્ટેલમાં રહેતા જાણીતા-અજાણ્યા કોઈ પણ સ્ટુડન્ટને માટે વપરાશમાં લેવાતું રોજિંદુ સંબોધન હતું. દરવાજો મેં અમથો જ વાસેલો હતો. બારણું ખૂલ્યું અને….. આ શું ? ડૉ. રે ત્યાં બારણાની ફ્રેમમાં મઢેલી તસવીરની જેમ ઊભા હતા : ‘મે આઈ કમ ઈન, જેન્ટલમેન ?’
હું હડબડાઈને બેઠો થઈ ગયો. રૂમ અસ્તવ્યસ્ત હતો. ચોપડીઓ, મેગેઝિનો, ચાની તપેલી, કપ, રકાબી, જ્યાં ત્યાં ફેંકી દીધેલાં કપડાં…..! ડૉ. રેને ક્યાં બેસાડવા ? હું ખુરશી ખેંચવા ગયો, પણ એમણે મને અટકાવ્યો. ખિસ્સામાંથી એક ટેલિગ્રામ કાઢીને મારા હાથમાં મૂક્યો :
‘શું છે સર ?’ મને સમજાતું નહોતું કે એ શું કરી રહ્યા હતા.
‘માય મધર ડાઈડ યસ્ટર ડે. કલકત્તાના સબર્બમાં અમારું ઘર છે. સાંજે શાકભાજી ખરીદીને આવી રહ્યા હતા. ઘરની પાછળના ઘાસવાળા મેદાનમાં આખલાએ શિંગડું માર્યું. મારી મા ઊછળી પડી. આખલો એમના શરીર પર થઈને ચાલ્યો ગયો. દુર્ભાગ્યે એ વખતે ત્યાં કોઈ જ હાજર નહોતું. તું પણ નહીં. પૂરો એક કલાક તરફડીને કાઢ્યો હશે. મદદ પહોંચી ત્યારે સ્મશાનમાં જ શિફટ કરવી પડી.’ ડૉ. રેની આંખમાં આંસુ હતાં.
‘આઈ એમ વેરી સોરી, સર…..! પણ મારો ઈરાદો…..’ હું થોથવાયો.
‘નેવર માઈન્ડ. તારો કોઈ જ દોષ નથી. તું તો આજે સવારે એ વાક્ય બોલ્યો હતો અને આ બન્યું ગઈ સાંજે. પણ હું તારી માફી માગવા અહીં સુધી આવ્યો છું. આજે રાતની ફલાઈટમાં જ કલકત્તા જવા નીકળું છું. કદાચ પાછો ન પણ આવું. હવે ત્યાં જ રહીશ. પણ એક વાત હંમેશા યાદ રાખજે; ગમે તેટલી આંતરડી કકળે, તો પણ જિંદગીમાં ક્યારેય આવા શબ્દો ન કાઢીશ. એ શબ્દો નથી હોતા, શાપ હોય છે.’ અને એ પીઠ ફેરવીને જતા રહ્યા. હું જડવત ઊભો રહ્યો.

આમ કેમ બન્યું ? આજ સુધી મને એનું રહસ્ય સમજાયું નથી. હું ચીલાચાલુ વહેમ કે અંધશ્રદ્ધામાં માનતો નથી. પૂરો એક દાયકો રેશનાલિસ્ટ મિત્રો સાથે વીતાવ્યો છે. ઈશ્વરના ઈન્કાર વિષે એમની પોકળ દલીલો બહુ નિકટથી તપાસી છે. પણ સરવાળે સમજ્યો છું કે ઈશ્વર છે. અને એટલે જ ઈશ્વરી ન્યાય જેવું પણ કશુંક છે. નાસ્તિકો કહે છે કે ઈશ્વર છે એ વાતનો કોઈ પુરાવો નથી. ભલે કહેતા ! ઈશ્વર નથી એ વાતની પણ એમની પાસે કોઈ સાબિતી નથી. ઉપર લખી છે એ વાતને તદ્દન જોગાનુજોગ માનવા માટે હું તૈયાર નથી. એમાં કોઈક વૈજ્ઞાનિક તથ્ય હશે તો એ ભાવિ નક્કી કરશે. પણ ત્યાં સુધી મારે મન તો તુલસીદાસ જ સાચા છે : ‘તુલસી હાય ગરીબ કી કબુ ન ખાલી જાય…..’ હું માનું છું કે ‘ગરીબ’ એટલે અન્યાયનો ભોગ બનનાર કોઈ પણ સાચો માનવી.

અન્યાયનો માર ખાધેલ આવો જ એક મિત્ર હતો ડૉ. જાડેજા. જાતનો રજપૂત પણ ભણી-ગણીને ડૉક્ટર બન્યા પછી તલવારની ધાર જેવું એનું વ્યક્તિત્વ રબ્બર જેવું નરમ બની ગયું હતું. એકવાર મારા પર એનો ફોન આવ્યો : ‘એક ડિલિવરીનો કેસ છે. તકલીવાળો મામલો છે. જલદી આવી જા.’ હું દોડી ગયો. અમારા બંનેનું નિદાન એક સરખું જ થયું. સ્ત્રીનો જીવ જોખમમાં હતો. પેટ ચીરીને સિઝેરિયન દ્વારા બાળકનો જન્મ કરાવવો પડે તેમ હતું. લાંબા સમય સુધીની ‘ટ્રાયલ લેબર’ આપ્યા પછી પણ પ્રસવ ન થયો. ત્યારે નાછૂટકે ઑપરેશન કર્યું. માતા અને બાળક બંનેની તબિયત સારી હતી. પૂરા એક અઠવાડિયા પછી દર્દીને રજા આપવાનો સમય થયો. ડૉ. જાડેજાએ આગલા દિવસે જ મને ફોન પર એના દિલની ઈચ્છા જાણવી હતી : ‘પેશન્ટની આર્થિક હાલત સારી નથી. આજે ટાંકા કાઢું છું. આવતીકાલે ડિસ્ચાર્જ આપીશ. પણ બીલના પૈસા બહુ વધારે લેવાની ઈચ્છા થતી નથી. જરૂરત કરતાં વધારે તો આમ હું કોઈના લેતો નથી. પણ આની પાસેથી તો સાવ મામૂલી ખાલી ટોકન રકમ લેવાનો વિચાર છે. તું શું કહે છે ?’
‘હું શું કહું ? કોઈ સારું કામ કરતું હોય તો આપણે તો એના પાછળ જ ઊભા હોઈએ ને ? આવા કામમાં આડા થોડું ઊભા રહેવાય ?’ પણ બીજે દિવસે ખબર પડી કે ડૉ. જાડેજા સાથે ભયંકર છેતરપિંડી થઈ છે. ટાંકા નીકળી ગયા એ પછી દર્દી અને એના પતિ બાળકને લઈને ચૂપચાપ દવાખાનું છોડી ગયા હતા. ડૉ. જાડેજાને કહેવા પણ રોકાયા નહીં. ઑપરેશનની પૂરેપૂરી ફી ડૂબી ગઈ. દર્દીનું સરનામું લેવાનું પણ જાડેજા ચૂકી ગયા હતા. બીજે દિવસે હું એમને મળ્યો, ત્યારે એ ભયંકર વ્યથિત હતા. હતાશમાં માત્ર એટલું જ બોલ્યા : ‘ભગવાન એના લેખા લેશે. મેં એમનું શું બગાડ્યું હતું ?’ હું સમજી ગયો. આ શબ્દો ન હતા પણ શાપ હતો.

અને સાત દિવસ પછી એ પતિ-પત્ની રડતાં કકળતાં ડૉ. જાડેજાના ટેબલ પર ચાર હજાર રૂપિયા મૂકી ગયા : ‘દાગતર સા’બ…. માફ કરો….. અમારો છોકરો ઊડી ગયો છે. તમારા બીલના પૈસા સ્વીકારી લો…..’ ડૉ. જાડેજાના અફસોસનો પાર ન હતો : ‘હવે મારાથી પૈસા ન લેવાય. બીલની વસૂલાત કરનાર હું કોણ ? એ તો ઉપરવાળાએ કરી લીધી. પણ સાચું કહું છું, હું જ્યારે પેલા શબ્દો બોલ્યો ત્યારે મારી એ ઈચ્છા નહોતી કે તારી સાથે સાવ આવું બને…….’ હું આ વાતનો સાક્ષી છું. બે-ચાર હજાર રૂપિયા માટે કોઈ ગરીબનો દીકરો ભગવાન ઊઠાવી લે એવી બદદુઆ તો કોઈ શૈતાન પણ ન કરે. પણ એક નબળી ક્ષણે ઘવાયેલા હૃદયમાંથી જે મૂંગી ચીસ ઊઠી હતી એ કમાનમાંથી છૂટેલા તીર જેવી હોય છે અને એ તીર પાછું નથી વળતું હોતું.

શરૂમાં ડૉ. રે સાહેબની વાત કરી એમને હાજરાહજૂર રાખીને જિંદગી જીવતો આવ્યો છું. ઘણીવાર માન-અપમાન, નફો-નુકશાન, ન્યાય-અન્યાય માણતો અને સહેતો રહ્યો છું. જીભની કમાન પરથી શબ્દોના તીર છૂટી ન જાય એ માટે સતત કાળજી સેવતો આવ્યો છું અને થોડા સમય પહેલાં જ ન બનવા જેવો બનાવ બની ગયો. નાની-મોટી જાહેર કે ખાનગી અનેક સંસ્થાઓમાં સક્રિય રહેવાનું મને સદભાગ્ય મળ્યા કરે છે. આવી જ એક સંસ્થાના પાંસઠેક વરસના એક કારોબારીના સભ્ય સાથે અન્યાયની બાબતમાં ઘર્ષણમાં ઉતરવાનું બન્યું. એ સજ્જન વડીલ હોવાનો ગેરફાયદો ઉઠાવ્યે જતા હતા. હું એટલો વિનય અને સ્વસ્થતા જાળવીને વાત કરતો હતો. છેવટે શિશુપાલના સો અપરાધ પૂરા થવા આવ્યા, ત્યારે મારાથી બોલાઈ ગયું : ‘માફ કરજો, નરેશભાઈ, તમે ગ્રામોફોનની રેકર્ડમાં ફસાઈ ગયેલી પીનની જેમ એકને એક જ વાત કર્યા કરો છો. હું સહન કરી લઉં છું કારણ કે તમે મારા પિતાની ઉંમરના છો, પણ તમે વગર વાંકે મને ક્રુસિફાય કરી રહ્યા છો, ભગવાન ન કરે ને તમારા પુત્રને……’
અને હું અટકી ગયો. આગળ બોલી ન શક્યો. બોલવું મને ઠીક ન લાગ્યું. પણ મનની અંદર મૂંગી ચીસ ઊઠી એ અશબ્દપણે પણ પૂરી તો થઈ જ ! મેં જાતને ઘણી વારી લીધી. પણ આ ઊઠેલા અંતરની રાવ હતી. બદનમાં પૂરજોશથી વહી રહેલું ખૂન જાણે ઈશ્વર આગળ મને થયેલા અન્યાયની ફરિયાદ કરવા દોડી રહ્યું હતું. એક ક્ષણ હતી જે બહુ ખરાબ હતી. શબ્દો મારા મનમાં જ પૂરા થયા : ‘કોઈ તમારા પુત્રને પણ મારી જેમ જ ક્રુસિફાય કરે તો તમને કેવું થાય ?’

ડૉ. રે સાહેબ સાચા હતા. આવા શબ્દો એક વાર બોલી જવાય, અરે, વિચારી જવાય તો પણ પછી શાપ બની જતા હોય છે. મને પૂરા એક મહિના પછી સમાચાર મળ્યા કે એ સજ્જનના એકના એક જુવાનજોધ દીકરાને કેન્સર થયું છે. એ સજ્જન એટલા સમૃદ્ધ અને સુખી હતા કે હું એમનું કશું જ બગાડી શકું એમ ન હતો. શું એટલે જ એમનો ન્યાય ઈશ્વરે પોતાના હાથમાં લીધો હશે !? – આ પણ કદાચ જોગાનુજોગ જ હશે. હું સંત નથી, પવિત્રતાનો મારો કોઈ દાવો નથી. ઈશ્વર જોડે મારું નિકટનું એવું કોઈ અનુસંધાન નથી. હું મેલી વિદ્યાનો સાધક નથી. જો હું આમાનું કશું પણ હોત તો ઈશ્વરને ફોન કરીને કહી દેત : ‘ભગવાન, મેં આવું કદી ઈચ્છયું નહોતું. તું પણ જબરો ન્યાયાધીશ છે, જ્યાં ટપલી મારવાની હોય ત્યાં તલવાર શા માટે મારે છે ? એ છોકરાને બચાવી લે.’

જિંદગીમાં અવારનવાર આપણને બધાને આવા અનુભવો થતા જ રહે છે. આમાં સાચું શું છે એ કદાચ ભવિષ્યમાં વિજ્ઞાન સાબિત કરી બતાવશે. પણ સાયન્સ જ્યાં સુધી કશું સિદ્ધ ન કરે ત્યાં સુધી આપણે તો શ્રદ્ધાને શરણે જ જવાનું ને ?

No comments: